સત્યપાલ મલિકના ઘરે CBIના દરોડા : હું ખેડૂતનો દીકરો છું, હું ના તો ડરીશ કે ના ઝૂકીશ...
- 22 Feb, 2024
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે દરોડા પાડ્યા છે. જો કે સત્યપાલ મલિક બિમાર હોવાથી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. સીબીઆઈના દરોડા અંગે, સત્યપાલ મલિકે કહ્યું કે, હું આ સીબીઆઈના દરોડાથી ડરવાનો નથી. તેમણે કહ્યું કે હું છેલ્લા 3-4 દિવસથી બીમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું. આમ છતાં મારા ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડામાં સીબીઆઈને મારા 4-5 કુર્તા અને પાયજામા સિવાય કંઈ જ નહીં મળે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકે કહ્યું કે, મારા ડ્રાઈવર અને મારા સહાયકને પણ દરોડા પાડીને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. હું ખેડૂતોની સાથે છું. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઈની ટીમ મલિકના ઘર સહિત અન્ય 30 જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. વાસ્તવમાં સત્યપાલ મલિકના ઘર પર જે મામલાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તે જમ્મુ કાશ્મીરના કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ સાથે સંબંધિત છે.
સત્યપાલ મલિકે વધુમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તેની તપાસ કરવાને બદલે મારા નિવાસસ્થાને સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેમને 4-5 કુર્તા અને પાયજામા સિવાય કંઈ જ નહીં મળે. સરમુખત્યાર સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું ખેડૂતનો દીકરો છું, હું ના તો ડરીશ કે ના ઝૂકીશ.
કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કેસ રૂ. 2200 કરોડના સિવિલ વર્ક્સ માટે કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. મલિકે દાવો કર્યો હતો કે 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 દરમિયાન જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને બે ફાઇલોને મંજૂરી આપવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.
સત્યપાલ મલિક દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારના આરોપોના સંદર્ભમાં સીબીઆઈએ બે એફઆઈઆર નોંધી હતી. એજન્સીએ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પાવર લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન નવીન કુમાર ચૌધરી અને અન્ય ભૂતપૂર્વ અધિકારીઓ એમએસ બાબુ, એમકે મિત્તલ અને અરુણ કુમાર મિશ્રા અને પટેલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ સંબંધિત સિવિલ વર્કસની ફાળવણીમાં ઇ-ટેન્ડરિંગ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યુંન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે CVPPPLની 47મી બોર્ડ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રિવર્સ ઓક્શનિંગની સાથે ઈ-ટેન્ડરિંગ દ્વારા ફરીથી કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવશે. પરંતુ CVPPPLની 48મી બોર્ડ મીટીંગમાં અગાઉની મીટીંગનો નિર્ણય પલટાયોહતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ